ખેરગામ :     ચીખલી તાલુકાના ખાંભડા ગામે આસપાસના ગામોના છાત્રો અભ્યાસ અને સરકારી પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે લાયબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

         ચીખલીના ખાંભડા ગામે સંસદીય સચિવ નિરવભાઈ સી. પટેલ, અધિક્ષક ઈજનેર અભયભાઈ દેસાઈ, કાર્યપાલક ઇજનેર પી.એન.પટેલ, સરપંચ પરેશભાઈ એસ.પટેલ, રૂઢિ-પ્રથા ગ્રામસભા અધ્યક્ષ રમેશભાઈ એમ.પટેલ તથા ગ્રામજનોની હાજરીમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત જ્ઞાન ઉર્જા વાંચનાલય/પુસ્તકાલયનું આદિવાસી રિતીરીવાજ મુજબ પ્રકૃતિ પૂજા કરી આદિવાસી દેવી-દેવતાઓની પૂંજ મૂકી ખાંભડા તથા આજુબાજુના અન્ય ગામનાં ભારતનાં ભાવિ નવયુવાન તથા નવયુવતિઓના ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવ્યું. ચીખલી તાલુકાના ખાંભડા ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક આધુનિક લાયબ્રેરીનું નિર્માણ લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું.