કલવાડાના ઘુસમેશ્વર મહાદેવના મંદિરે આદિવાસી જનજાગૃતિ સભા યોજાઈ.

ખેરગામ : કલવાડા ગામના જાગૃત યુવાનો મિતેશ, રઘુ, મહેશ વગેરે દ્વારા ઘુસમેશ્વર મહાદેવમાં મંદિરે આદિવાસી સમાજના યુવાનો, વડીલોમાં સામાજિક જનજાગૃતિ આવે તે માટે એક ઓટલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેરગામના તબીબ અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો. નિરવ પટેલ, મિન્ટેશ પટેલ, મંત્રી કાર્તિક, કીર્તિ પટેલ સહિત યુવા સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રસંગોચિત વક્તવ્યમાં ડો.નિરવ પટેલે સમાજને દારૂ અને અન્ય નશાઓના વ્યસન તેમજ અંધશ્રદ્ધામાંથી મુક્ત થવાની હાકલ કરી હતી તેમજ આદિવાસી સમાજના ભવ્ય ભૂતકાળ વિશે માહિતી આપી હતી અને વિવિધ પાર્ટીઓમાં વહેંચાઇને સમાજના ભાગલા પાડવા કરતા સમાજના દરેક યુવાનો, વડીલોએ મતભેદો ભૂલીને એક થઈ સમાજના વિકાસમાં સાથ આપવા જણાવ્યું હતું.