ખેરગામ : તારીખ ૧૮-૦૨-૨૦૨૩નાં દિને  કાજાણ રણછોડ મુકામે કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓની બોર્ડની પરીક્ષા માટે આત્મવિશ્વાસ વધારવા અને તણાવ દૂર કરવા માર્ગદર્શન શિબિર યોજાઈ. 

છેલ્લા 24 વર્ષોથી વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામે ડાંગ, કપરાડા,ધરમપુર સહિતના આંતરિયાળ આદિવાસી વિસ્તારોના બાળકો માટે છાંયડો ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ છાત્રાલય બનાવી સેવા કરતા વલસાડ મોગરાવાડી ખાતે રહેતા શિક્ષક અજીતભાઈ પટેલના કન્યા છાત્રાલયમાં રહી 60 જેટલી બાળાઓ અભ્યાસ કરે છે. જેમાં બોર્ડની પરીક્ષા આપનાર  તમામ બાળાઓનું સ્વાગત ભૂતકાળમાં આદિવાસીઓની જીવાદોરી રહી ચૂકેલા મહુડાના ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું. સંચાલક અજીતભાઈએ થોડું દુઃખ પણ અભિવ્યક્ત કર્યું કે સમાજમાં અઢળક લોકો પૈસાદાર હોવા છતાં, છાત્રાલયના દાનવીરોમાં આપણા સમાજના લગભગ નહિવત છે, મોટાભાગના અન્ય સમાજના વ્યક્તિઓનો જ ફાળો  છે. બાળકોને માર્ગદર્શન અને કારકિર્દી સંબધિત શિબિર હોવાને લીધે તબિયત નાદુરસ્ત અને હોસ્પિટલમાં દાખલ હોવા છતાં શિક્ષણપ્રેમી પ્રોફેસર નિરલ પટેલ પણ હાથમા સોય સાથે આવીને બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા તણાવ દૂર કરવા માટે  તેઓ આ શિબિરમાં જોડાયા હતા. તેમજ દલપતભાઈ, કીર્તિભાઇ, મિન્ટેશભાઈ, કાર્તિક, ભાવેશ,ભાવિન સહિતનાઓએ પણ પોતાની પ્રેરક હાજરી અને વાતોથી બાળકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. અને ડૉ.નિરવ પટેલની ટીમે ચોકલેટ,બોલપેન આપી બાળકોના ઉમદા ભવિષ્યની કામના કરી હતી. આને વધુમાં ડૉ.નિરવ પટેલે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાના કોઈપણ વિદ્યાર્થીઓને હતાશા કે તણાવ આવે તો તમે અમારા પ્રવક્તાઓ કીર્તિભાઇ પટેલ 9099964517, દલપતભાઈ પટેલ 9909542850 ને અથવા અમારી હોસ્પિટલના 9099716277 પર ફોન કરીને ગમે ત્યારે તમારી તકલીફો રજૂ કરી શકો છો, અમે તેમને સાંભળીશું અને  હતાશા, તણાવ દૂર કરવાના પૂરતા પ્રયત્નો કરીશું. તેમજ એનાથી વિશેષ જો બોર્ડના કોઈ વિદ્યાર્થીને તકલીફ વધારે જણાય તો અમારી હોસ્પિટલમાં તપાસ ફી લીધા વગર સારવાર કરી આપીશું.